રાજકોટ, તા.29
લોકસભાની ચૂંટણી માટે રાજકોટ સહિત સાત બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જાહેર થવાના બાકી છે તે પૂર્વે જ પાર્ટી દ્વારા આવતીકાલે રાજ્યભરના ઉમેદવારો તથા સંગઠન પ્રમુખોની બેઠક બોલાવવામાં આવી છે તેમાં ચૂંટણી રણનીતિ વિશે માર્ગદર્શન-સૂચનાઓ આપવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાશ્ર્નિક પણ હાજર રહેવાના છે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે પાર્ટી પ્રભારી મુકુલ વાશ્ર્નીક આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યસ્તરીય બેઠક બોલાવી છે. કાલે બપોરે એક વાગ્યે યોજાનારી બેઠકમાં લોકસભાના જાહેર કરાયેલા તમામ 17 ઉમેદવારો તથા રાજ્યના તમામ શહેર-જીલ્લા સંગઠન પ્રમુખોને તેડાવવામાં આવ્યા છે. જેમાં વિસ્તૃત-લાંબી ચર્ચા-વિચારણા થશે. પ્રદેશ પ્રભારી વાશ્ર્નીક તથા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના સીનીયર નેતાઓ દ્વારા ચૂંટણીલક્ષી રણનીતિ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. ચૂંટણી પૂર્વેની અંતિમ અને મહત્વપૂર્ણ રાજ્યસ્તરીય બેઠક હોવાનો નિર્દેશ કરતા સૂત્રોએ કહ્યું કે તમામ નેતાઓ-આગેવાનોને જવાબદારી સોંપવામાં આવશે. સંગઠનમાં ક્યાંય ત્રુટી-ખામી માલુમ પડવાના સંજોગોમાં તે સુધારવાની સુચના આપવામાં આવશે. કોંગ્રેસના એક સીનીયર નેતાએ કહ્યું કે ચૂંટણી પૂર્વે કેટલીક બેઠકોમાં ભાજપમાં ખુલ્લો અસંતોષ જાહેર થયો છે. ઉપરાંત રાજકોટ જેવી બેઠકમાં ઉમેદવાર વિવાદમાં પણ સપડાયા છે. રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા જેવી બેઠકોમાં અસંતોષ ખુલ્લો પડ્યો છે ત્યારે તેનો રાજકીય લાભ મળી શકે કે કેમ અને કેવી રીતે લેવાય તે વિશે ચર્ચા-વિચારણા કરીને માર્ગદર્શન આપવામાં આવે તેવી સંભાવના છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy