રાજકોટ તા.29
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના સાત ઉમેદવારોના નામો જાહેર થવાના બાકી છે અને જ્ઞાતિવાદી સમીકરણો ગોઠવવામાં પેચ ફસાયો હોવાની અટકળો છે. રાજકોટના ઉમેદવાર તરીકે હિતેષ વોરાના નામની ચર્ચા છે અને તે સંજોગોમાં સૌરાષ્ટ્રની સાતમાંથી ચાર બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવારો લેઉવા પાટીદાર સમાજના રહેશે.
સૂત્રોના કહેવા પ્રમાણે રાજકોટ સહિતની સાત બેઠકોના ઉમેદવારો હજુ જાહેર થઈ શકતા નથી તે પાછળનુ એક મહત્વનું કારણ એકાદ-બે બેઠક પરના જ્ઞાતિવાદી ફેકટર છે. રાજકોટમાં નવેસરથી સેન્સ લેવામાં આવી તેમાં પર હિતેશ વોરા તથા ડો. હેમાંગ વસાવડાના નામ જ ઉપસ્યા હતા. સીનીયર નેતા પરેશ ધાનાણીનું નામ હતું.
તેઓના ઈન્કાર પછી પણ તેઓને સમજાવટના પ્રયાસ થયા હતા. રાજકોટમાં લેઉવા પાટીદારને ટિકીટ આપવામાં આવે તો સૌરાષ્ટ્રની સાતમાંથી ચાર બેઠકો લેઉવા પાટીદારની થશે. અગાઉ અમરેલીમાં જેનીબેન ઠુમર, જામનગરમાં જે.પી.મારવીયા તથા પોરબંદરમાં લલિત વસોયાના નામો જાહેર થઈ જ ચૂકયા છે. જુનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ જેવી બેઠકોના નામ બાકી છે. ભાવનગરની બેઠક ‘આપ’ને ફાળવવામાં આવી છે. ‘આપ’ દ્વારા ઉમેશ મકવાણાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં કોળી નેતાને ટીકીટ ફાળવવામાં આવે તેવી સંભાવના છે. જુનાગઢમાં આહિર સમાજના નેતાનુ નામ ચર્ચામાં છે. આ સંજોગોમાં કોંગ્રેસની સૌરાષ્ટ્રની 6 માંથી 4 બેઠકો લેઉવા પાટીદાર તથા 1-1 બેઠકમાં કોળી-આહિર ઉમેદવાર થઈ શકે છે. સૂત્રોએ કહ્યું કે બાકિના ઉમેદવારો જાહેર કરતા પુર્વે કોંગ્રેસ જ્ઞાતિ સમીકરણોની ખાસ કાળજી રખાશે. અમદાવાદ જેવી બેઠક પર બ્રાહ્મણ-જૈન ઉમેદવાર શકય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy