ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ

સિંહ-વાઘ-રીંછ, દિપડા-સાવજ... સફારી પાર્કમાં હવે જુદા-જુદા પ્રાણી સાથે રહેશે

Gujarat | Ahmedabad | 27 March, 2024 | 03:15 PM
ઉનાના માંડવી-નલિયા, કચ્છના કોટેશ્વર તથા બનાસકાંઠાના પાલનપુરમાં સફારી પાર્ક બનશે : ત્રણેય પાર્કમાં સિંહોને પણ મોકલાશે
સાંજ સમાચાર

અમદાવાદ, તા.27
વન્ય જીવોની જાળવણી તથા માનવીઓને વધુ નજીક લાવવાના ઉદેશ સાથે રાજય સરકાર કોઇ એક જ પ્રાણીને આધારીત સફારી પાર્કને બદલે અનેક પ્રાણીઓ સાથેના સફારી પાર્ક બનાવવાની યોજના તૈયાર કરી છે. એક જ સફારી પાર્કમાં લોકો હવે અનેક પ્રાણી પ્રજાતિ નિહાળી શકાશે. મહત્વની વાત એ છે કે ખાનગી જમીનમાં આ સફારી પાર્કનું  નિર્માણ થશે એટલે જંગલની જમીનમાં કોઇ ઘટાડો નહીં થાય.

રાજયના વન વિભાગ દ્વારા કચ્છના કોટેશ્વર, બનાસકાંઠાના પાલનપુર તથા ઉના નજીક માંડવી-નલીયામાં આ પ્રકારના ‘મલ્ટી સ્પેસીસ’ સફારી પાર્કનું નિર્માણ કરવાની યોજના બનાવવામાં આવી છે. 

વન વિભાગના સુત્રોએ જણાવ્યું છે કે, પાલનપુર સફારી પાર્કમાં રીંછ ઉપરાંત સિંહને રાખવામાં આવશે જયારે કોટેશ્ર્વરમાં સિંહ-વાઘ ઉપરાંત અન્ય વન્યપ્રાણીઓને રાખવામાં આવશે. માંડવી-નલિયા સફારી પાર્કમાં સિંહ તથા દિપડાને રાખવાનું આયોજન છે. વન્ય પ્રાણીઓની વસતીમાં પણ વિવિધતા લાવવાની સાથોસાથ વન્ય જીવની જાળવણી તથા પ્રવાસન વિકસાવવાનો ત્રિવિધ ઉદેશ છે.

વન વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે આ સફારી પાર્ક થકી લોકો ઇકો સિસ્ટમની જાળવણી કરવા ઉપરાંત સ્થાનિકોને રોજગારીની તકો મળશે અને સમગ્ર ક્ષેત્રમાં આર્થિક ધમધમાટ વધી શકશે. ગુજરાતની વન્ય પ્રકૃતિની યશોગાથા જાણીતી છે. પાલનપુર તથા કોટેશ્વર ધાર્મિક પ્રવાસન માટે વિખ્યાત છે તેવા સંજોગોમાં સફારી પાર્કના નિર્માણથી બેવડો લાભ થઇ શકે છે. આબુ-અંબાજી કે દીવના પ્રવાસે જતા લોકો અધવચ્ચે સફારી પાર્કનો પ્રવાસ પણ  કરી શકે તે પ્રકારના ભૌગોલિક સ્થાનો પસંદ કરવામાં આવ્યા છે. 

સર્વોચ્ચ અદાલત દ્વારા ગત ફેબ્રુઆરીમાં એક ચુકાદો આપવામાં આવ્યો હતો જે અંતર્ગત વન્ય પ્રાણી કાયદા હેઠળ  સંરક્ષીત સિવાયની જંગલ જમીનમાં પણ પ્રોજેકટ લાગુ કરવો હોય તો અદાલતની પૂર્વ મંજૂરી ફરજીયાત લેવાની સૂચના આપી હતી. સુપ્રિમ કોર્ટનો આ ચુકાદો અવરોધક ન બને તે માટે જંગલ વિભાગ હસ્તક ન હોય તેવી જંગલ સિવાયની જમીનનો ઉપયોગ આ પ્રોજેકટ માટે કરવામાં આવશે. 

સુપ્રિમ કોર્ટે તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી જંગલ વિભાગની જમીનનો રીપોર્ટ માંગ્યો છે. પરંતુ જે નવા પ્રોજેકટ હાથ પર લેવાની યોજના છે તે જંગલ સિવાયની  જમીન પર બનશે. એટલે સર્વોચ્ચ અદાલતની પૂર્વ મંજૂરી જરૂરી નહી બને અને માત્ર સેન્ટ્રલ ઝુ ઓથોરીટીની મંજૂરીથી પ્રોજેકટ લાગુ થઇ શકશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj