► વડોદરા અને સાબરકાંઠાના ભાજપના ઉમેદવારો બદલાયા તેમાં કોઈનું ‘દબાણ’ નહી કાર્યકર્તાઓની લાગણી અને લોકોનો મૂડ ધ્યાનમાં રખાયો છે: ટિકીટ માંગવી કે ઉમેદવારનો વિરોધ કરવો શિસ્તભંગ નથી
રાજકોટ તા.28
દેશમાં લોકસભા ચૂંટણી માટેના સર્જાઈ ગયેલા જબરા વાતાવરણ અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીથી લઈ નામાંકન અને પ્રચારના શરુ થયેલા પ્રથમ તબકકામાં ચુંટણીની જાહેરાત પછી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પ્રથમવાર મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકાર 400 ને પાર જશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે વિજયની હેટ્રીક નજીક છે અને ગુજરાતમાં પણ ભાજપ તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુ મતોની લીડથી જીતશે.
આજે રાજકોટમાં ભાજપના મીડીયા વર્કશોપ અને બાદમાં શહેર અને જીલ્લાના બુથ ઈન્ચાર્જના સંમેલનમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથેની એક શુભેચ્છા મુલાકાતમાં સી.આર.પાટીલે ભાજપના ભરતીમેળાથી લઈને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાના વિધાનો સામે ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે અંગે વાત કરી હતી.
શ્રી પાટીલે સ્વીકાર્યુ કે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમવખત તેઓ રાજકોટ આવ્યા તે સમયે તેમને કોંગ્રેસના કોઈ નેતાઓને ભાજપમાં લેવાશે નહી તેવી જાહેરાત કરી હતી જયારે હાલમાં જ ભાજપમાં જે વ્યાપકપણે ભરતીમેળા શરુ થયા છે તે અંગેના એક પ્રશ્નના જવાબમાં પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે કોંગ્રેસની તાકાતને તોડવા ભરતીમેળા યોજવામાં આવે છે. તેમણે કહ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય કક્ષાએ લેવાયો છે.
પરંતુ કોંગ્રેસના કોઈપણ નેતાને ભાજપમાં સમાવાતા નથી. અમે પુરતી ચકાસણી બાદ જ પ્રવેશ આપીએ છીએ. સારા કાર્યકર્તાઓ પક્ષમાં આવે તો તેનાથી ભાજપને જ ફાયદો થશે. જો કે આ પ્રકારના ભરતીમેળા અને કોંગ્રેસના આગેવાનો દ્વારા ચુંટણી ટિકીટ પણ મેળવી જવાના સતત વધી ગયેલા વલણ પર તેમણે કહ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોંગ્રેસ અને અન્ય પક્ષના 60 હજાર કાર્યકર્તાને સમાવવામાં આવ્યા છે. વિધાનસભાની 182 બેઠક મુજબ હિસાબ કરો તો એક બેઠક દીઠ 200થી250 લોકોને સમાવાયા છે અને ભાજપના કોઈ કાર્યકર્તાને અન્યાય ન થાય તે પણ પક્ષ નિશ્ચિત કરે છે.
શ્રી પાટીલે હાલમાં જ જે રીતે લોકસભા ચૂંટણી માટેના ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ બે ઉમેદવારોને બદલવા પડયા અને અન્ય બેઠકો પર પણ વિરોધ છે તે અંગેના એક પ્રશ્નનો જવાબ ટાળવા કોશીશ કરતા કહ્યું કે કોઈ દબાણ હેઠળ ઉમેદવાર બદલાયા નથી. પરંતુ કાર્યકર્તાઓએ લોકોનો મૂડ અને ઈચ્છા શું છે તે મોવડીમંડળને જાણ કરતા ઉમેદવારો બદલાયા છે.
તેમણે પક્ષમાં વધેલા કચવાટ અને ટિકીટ માંગવાથી લઈ ઉમેદવારો સામેના વિરોધ અંગે સર્જાયેલા વાતાવરણને હળવે હાથે લેતા કહ્યું કે ટિકીટ માંગવી કે કોઈ ઉમેદવારનો વિરોધ કરવો તે શિસ્તભંગ નથી. કાર્યકર્તાઓ પોતાની લાગણી કહી શકે છે અને મોવડીમંડળ શકય હોય તો તેને માન પણ આપે છે. તેમણે કહ્યું કે જયાં સુધી પક્ષમાં ડીસીપ્લીનનો પ્રશ્ન છે તો ભાજપ પુર્ણ રીતે શિસ્તબદ્ધ પક્ષ બની રહ્યો છે. શ્રી પાટીલનું ધ્યાન હાલમાં જ પક્ષના એક નેતા દ્વારા આદિવાસી મહિલાનું કરાયેલું અપમાન અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે અમે તેમનો ખુલાસો પૂછયો છે.
► પત્રકાર મિલનમાં રૂપાલાની ગેરહાજરી સૂચક
આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પત્રકારો સાથેની વાતચીત સમયે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાની ગેરહાજરી સૂચક રહી છે. શ્રી પાટીલની સાથે પ્રથમ બે કાર્યક્રમમાં હાજર રહેલા રૂપાલા જો કે પ્રેસમીટમાં પહોંચ્યા ન હતા. જે રીતે હાલ તેઓ વિવાદના કેન્દ્રમાં આવી ગયા છે તેથી પત્રકારોથી દુર રહેવાનું ખાસ કરીને પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોઈ સંકોચભરી સ્થિતિ સર્જાઈ તે જોવા માટે રૂપાલા દુર રહ્યા હોવાનું મનાય છે.
► નો કેમેરા, નો શુટીંગ, નો બાઈટ: ડિબેટથી પણ દૂરી
લોકસભા ચૂંટણી સમયે કોઈ એક વિધાન પર મોટી મુશ્કેલી સર્જી શકે છે તે નિશ્ર્ચિત થયા બાદ ભાજપે હવે તેના મીડીયા પ્રવકતાઓને ટીવી ડીબેટ કે જાહેર ચર્ચાથી દુર રહેવા આદેશ આપી દીધો છે અને બીજી તરફ આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રેસમીટ સમયે પણ ટીવી ચેનલ કે સોશ્યલ મીડીયાના કેમેરામેનને તેમના શુટીંગ કેમેરા બહાર જ રાખવાની ફરજ પડી હતી. એટલું જ નહી પાટીલે કોઈ રેકોર્ડેડ થાય તેવી બાઈટ પણ આપી ન હતી.
►બોલવામાં સંયમ રાખજો, સોશ્યલ મીડીયાની પોષ્ટથી વિવાદ સર્જતા નહી: પાટીલની તાકીદ
સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ મીડીયા વર્કશોપમાં રૂપાલાના વિધાનો પછી સર્જાયેલ વિવાદનો પડઘો પડયો: ડેમેજ ભરપાઈ કરવું મુશ્કેલ બને છે: પ્રવકતાઓને તાકીદ
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પુર્વે જ જે પ્રકારે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા અને ભરૂચમાં પક્ષના સીનીયર નેતા દ્વારા આદિવાસી મહિલા અંગે કરાયેલ અપમાનજનક વિધાનોનો પડઘો આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાન હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપની મીડીયા સેલની જે બેઠક યોજાઈ હતી તેમાં પડયો હતો અને પાટીલે પક્ષના પ્રવકતાઓ અને નેતાઓને બોલવામાં સંયમ રાખવા અને સોશ્યલ મીડીયામાં પણ પોષ્ટ મુક્તા સમયે તકેદારી રાખવા ખાસ જણાવ્યું હતું. શ્રી પાટીલે કહ્યું કે આપણા જ વિધાનો આપણને બુમરેંગ થવા જોઈએ નહી. કોઈ એક વ્યક્તિ દ્વારા કરાયેલ વિધાનો સોશ્યલ મીડીયામાં મીનીટોમાં વાયરલ થઈ જાય છે અને પછી જે ડેમેજ થાય છે તે ભરપાઈ કરવાનું પણ મુશ્કેલ બની જાય છે. તેમનો ચોખ્ખો ઈશારો હાલમાં જ પુરુષોતમ રૂપાલા દ્વારા જે રીતે ક્ષત્રિય સમાજ અંગે વિધાનો કરાયા તેના ભણી હતો અને કહ્યું કે પ્રવકતાઓએ ખાસ ચિંતા કરવી જોઈએ.
રૂપાલા સીનીયર નેતા છે, કેન્દ્રીય મંત્રી છે, માફી માંગી છે તે સ્વીકારી લેવી જોઈએ: પાટીલની આડકતરી અપીલ
►ક્ષત્રિય સમાજ સાથે વાતચીત ચાલુ છે, એકાદ દિવસમાં ઉકેલ આવી જશે: પાટીલ
ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા તેઓ પણ ક્ષત્રિય સમાજ સાથે સંપર્કમાં હોવાનો સંકેત આપ્યો
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોતમભાઈ રૂપાલા દ્વારા હાલમાં જ વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમા જે રીતે ક્ષત્રિય અને રાજપૂત સમાજ માટે જે અપમાનજનક વિધાનો કર્યા તે ભાજપ માટે હાલ મોટી મુશ્કેલી લાવી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્ર અને છેક ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં તેના ઘેરા પડઘા પડયા છે અને ભાજપનો વિરોધ થઈ રહ્યો છે તથા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર બદલવાની પણ માંગણી થઈ રહી છે.
આજે રાજકોટ આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ અંગેના એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું કે પુરુષોતમભાઈ રૂપાલાએ માફી માંગી લીધી છે અને સમગ્ર વિવાદને શાંત કરવાના પ્રયત્નો ચાલુ છે.તેમણે સ્વીકાર્યુ કે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે આ અંગે વાતચીત ચાલુ છે અને એકાદ બે દિવસમાં નિવેડો આવી જશે. એક અન્ય વાતચીતમાં તેમણે કહ્યું કે પુરુષોતમભાઈ જેવા સીનીયર નેતા કે જેઓ કેન્દ્રીય મંત્રી છે તેઓ માફી માંગે તો તેને ગંભીરતાથી જોવી જોઈએ અને આડકતરી રીતે એ પણ કહ્યું કે આ માફી સ્વીકારવી જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy