♦ આકરા તાપથી બચવા તથા બીનજરૂરી બહાર ન નિકળવા આરોગ્યતંત્રના સૂચનો: બાળકો-વૃધ્ધોની ખાસ કાળજી લેવા સલાહ
રાજકોટ, તા.29
ઉનાળાના આરંભે જ સૂર્યનારાયણ આકાશમાંથી અગનવર્ષા કરવા લાગ્યા છે અને તાપમાનનો પારો 40-41 ડીગ્રીએ પહોંચ્યો છે. ત્યારે શહેરમાં છેલ્લા 48 કલાકમાં 44 લોકોને ‘હિટ સ્ટ્રોક’ની અસર થઇ હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેઓને હોસ્પીટલમાં ખસેડાયા હતા.
ચારેક દિવસથી હીટવેવનો માહોલ સર્જાયો હોવાના કારણોસર અને હવામાન વિભાગે પલ્લો એલર્ટની ઘોષણા કરી છે ત્યારે 108 એમ્બ્યુલન્સોમાં પુરતા પ્રમાણમાં દવા, ઇન્જેક્શન, ઓઆરએસ, ગ્લુકોઝ, ઓક્સીજનની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શક સૂચનો પણ કરવામાં આવ્યા છે.
રાજકોટના જિલ્લાના નાગરિકો ઉનાળાના ધોમધખતા તડકાથી પોતાની જાતનું રક્ષણ કરી શકે અને પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરી શકે, તે માટે 108 અને જિલ્લા વહિવટી વિભાગ દ્વારા લોકોપયોગી સૂચનો જાહેર કરવામાં આવ્યાં છે. ગરમીના લીધે લૂ લાગવાના તેમજ બેભાન બનવાના બનાવો વધે તે પહેલા નાગરિકોએ શું કાળજી રાખવી જોઈએ?
લોકોએ સખત ગરમીમાં બને ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું, ગરમીમાં બહાર નીકળો તો સુતરાઉ, લાંબા આખી બાયના કપડાં પહેરવાં, મોઢાથી પ્રવાહી પૂરતાં પ્રમાણમાં લેવું. જેમાં સાદુ પાણી, લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરી શકાય, નાના બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓએ ગરમીમાં બહાર ન નીકળવું, સગર્ભા માતા અને નવજાત શિશુને લૂ ના લાગે તેની ખાસ કાળજી રાખવી.
આ ઉપરાંત, લૂ લાગે કે તેની અસર દેખાય તો નજીકના દવાખાનામાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જે વ્યક્તિને લૂ લાગી હોય તેને ઠંડા વાતાવરણમાં રાખવા. લૂ લાગી હોય તેને પ્રાથમિક ઉપચાર માટે ઠંડા પાણીના પોતાં મૂકી શકાય, આઈસ પેક હોય તો જાંઘ અને બગલના ભાગમાં મૂકવાથી શરીરનું ઉષ્ણતામાન તરત જ નીચું લાવી શકાય છે. જે શ્રમિકો ખુલ્લી સાઇટ પર તડકામાં કામ કરતાં હોય, તેમણે દર બે કલાકે છાયડામાં પંદરથી વીસ મિનિટ આરામ લેવો જોઈએ, ગરમીની ઋતુમાં બજારનો ઉઘાડો અને વાસી ખોરાક લેવાનું ટાળવું જોઇએ.
રાજકોટ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં જ ગરમીના લીધે કેસોમાં વધારો જોવા મળ્યો છે, છેલ્લાં અડતાલીસ કલાકમાં જ રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને 44 કિસ્સાઓ સામે આવ્યાં છે. જેની 108 સેવા દ્વારા સારવાર કરવામાં આવી છે અને નજીકના હોસ્પિટલમાં ખસેડવા આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે જે અંગે રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને સજ્જ રાખવામાં આવી છે. 108ના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યું હતું કે, તમામ 108 એમ્બ્યુલન્સમાં ગરમી કે લૂ સબંધિત કોઈપણ પ્રકારના કિસ્સાઓને પ્રતિસાદ આપવા માટે પુરતા પ્રમાણમાં દવાઓ, સંસાધનો, ઈન્જેકશન, ઓઆરએસ, ગ્લુકોઝ, સહિત ઓક્સિજનના પુરતા જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તમામ કર્મચારીઓ તાલીમબદ્ધ અને કટિબદ્ધ છે. ત્યારે રાજકોટની જનતા સાવધાનીના પગલા લઇ કાળજી રાખે તેમ છતા આવશ્યક સમયે તત્કાલ 108ને કોલ કરી સેવા મેળવે જેથી આપાતકાલીન પરિસ્થિતિઓમાં મૂલ્યવાન માનવજીવન બચાવી શકાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy