રાજકોટ, તા.29
રાજકોટ શહેરમાં નવા શરૂ થતા નાણાંકીય વર્ષ એટલે કે એપ્રિલથી 65 વર્ષ ઉપરના સીનીયર સીટીઝન્સને સીટી અને બીઆરટીએસ બસમાં ફ્રી મુસાફરીની તમામ લોકોને ખુશ કરતી જાહેરાત શાસકોએ બજેટમાં કરી હતી. પરંતુ હાલ લાંબી ચૂંટણી આચારસંહિતા લાગુ જઇ જતા ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તે બાદ આ યોજનાનો લાભ વડીલોને મળશે તેમ જાણવા મળ્યું છે.
નવા વર્ષના બજેટમાં શાસકોએ અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ જોડી હતી. ચેરમેન જયમીન ઠાકરે 65 વર્ષ ઉપરના વડીલો માટે ફ્રી બસ પાસ યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ નિર્ધારીત સમયે ચૂંટણી જાહેર થતા જે રીતે અનેક કામો અને પ્રોજેકટની અમલવારી અટકી ગઇ છે તેની અસર આ જાહેરાત ઉપર પણ હાલ પડી છે. આથી એપ્રિલથી આ લાભ મળવાની શકયતા નહીંવત છે.
સીટી બસનું સંચાલન કોર્પો.ની આરઆરએલ કંપની કરે છે. આ કંપની ચૂંટાયેલી બોડી હેઠળ આવતી નથી. આ કંપનીમાં હજુ આ યોજનાના નિયમોને મંજૂરી આપવાની બાકી છે. ચૂંટણીના કારણે બોર્ડની બેઠક હાલ મળી શકે તેમ નથી.
આથી આ અમલવારીને આચારસંહિતા નડે તેવો મત છે. જો આવું બને તો વડીલોને ફ્રી બસ સેવા માટે હજુ બે મહિના રાહ જોવી પડશે. છતાં આ અંગે ટુંક સમયમાં નિર્ણય જાહેર કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy