રાજકોટ તા.28
ઓલ ઈન્ડીયા બાર પરીક્ષાનુ પરિણામ તાજેતરમાં જાહેર થયું જેમા મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ નાપાસ થતા પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. નવી પરીક્ષા નીતિથી એલએલબીમાં ટોપ કરનાર પરીક્ષાર્થીઓ પણ ફેઈલ થયા છે જેને પગલે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાને રજૂઆત કરી તમામ પરીક્ષાર્થી વકીલોને પાંચ ગ્રેસીંગ માર્કસ આપવા માંગ કરી છે.
બીસીજીની યાદીમાં જણાવાયુ છે કે સને 2010થી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા કોઈપણ સ્ટેટ બાર કાઉન્સીલમાં નોંધાયેલા ધારાશાસ્ત્રીએ દેશની કોઈપણ અદાલતમાં વકીલાત કરવી હોયતો ઓલ ઈન્ડીયા બાર એકઝામ પાસ કરવી ફરજીયાત કરેલ છે. સને 2010થી અત્યાર સુધી 18 વાર આ પરીક્ષા લેવામાં આવેલ છે. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લેતી કંપની દ્વારા આ પરીક્ષા લેવામા આવે છે અને 20 કાયદાઓ ઉપર 11 ભાષામાં આ પરીક્ષા લેવામા આવતી હોય છે. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા શરૂઆતના સમયમાં માત્ર ત્રીજી વારની પરીક્ષા સુધી કંપની દ્વારા પરીક્ષાલક્ષી મટીરીયલ્સ આપવામાં આવતુ હતુ. ત્યારબાદ પરીક્ષામાં બેસનાર ધારાશાસ્ત્રીઓને પરીક્ષાલક્ષી મટીરીયલ આપવાનુ બંધ કરવામાં આવેલ.
તેમજ આ પરીક્ષામાં અત્યાર સુધી માત્ર 40 માર્કસ મેળવવાનુ ફરજીયાત હતુ પરંતુ આ 18મી વારની પરીક્ષામાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાએ પરીક્ષા આપનાર ધારાશાસ્ત્રીઓએ 45 માર્કસ લાવવાનુ ફરજીયાત કરવામાં આવેલ. મળતી માહિતી મુજબ 100 માર્કસના પરીક્ષા-પેપરમાં 7 સવાલોમાં ટેકનીકલ ભૂલ હોવાને કારણે 93 માર્કસમાંથી 42 માર્કસ લાવવાના ફરજીયાત કરવામા આવેલ પરંતુ પરીક્ષાલક્ષી મટીરીયલ ન મળવાને કારણે તેમજ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા પરીક્ષા લેવામા વધુ સમયગાળો પસાર કરવાને કારણે આ વખતે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા લેવામા આવેલ પરીક્ષાના પરિણામ પર મોટી અસર જોવા મળેલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંજોગોવસાત સફળ થઈ શકેલ નહીં. જેને કારણે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, વાઈસ ચેરમેન મુકેશ સી. કામદાર, એકઝીકયુટીવ કમીટીના ચેરમેન નલીન ડી. પટેલ તથા સભ્ય અનીલ કેલ્લા સહિતનાઓ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાને એક ઈમેઈલ દ્વારા જે વિદ્યાર્થીઓ પાંચ માર્કસ સુધી ઓછા મેળવવાને કારણે નાપાસ જાહેર કરવામાં આવેલ છે તેવા વિદ્યાર્થીઓને પાંચ માર્કસ ગ્રેસીંગ આપવા માટે ધારાશાસ્ત્રીઓના ભાવિના હિતને લક્ષમાં રાખી યોગ્ય નિર્ણય લેવા માટે તાકીદે જાણ કરેલ છે અને પાંચ માર્કસ સુધી ગ્રેસીંગ થનાર વિદ્યાર્થીઓના રીઝલ્ટ ફરીથી જાહેર કરવા માટે વિનંતી કરાઈ છે તેમ બીસીજીના ઈન્ચાર્જ સેક્રેટરી સિધ્ધિ ડી. ભાવસારની યાદીમાં જણાવાયુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy