રાજકોટ તા.29
રેલ્વે અને કોર્પોરેશનની સામસામી કરોડો રૂપિયાની ઉઘરાણીમાં રેલ્વે કવાર્ટરમાં વસતા કર્મચારી પરીવારજનોનો ખો નીકળી ગઈ છે. કોર્પોરેશને રેલ્વે તંત્ર પાસે 32.67 કરોડની પઠાણી ઉઘરાણી કરી રેલ્વે કોલોનીમાં નળ જોડાણો કાપી નાખતા રેલ્વેના 715 કવાર્ટરમાં રહેતા બે હજારથી વધુ કર્મચારીઓ-પરિવારજનો ભર ઉનાળે પીવાના પાણીની હાડમારી ભોગવી રહ્યા છે.
મનપાએ રેલ્વે કોઠા કંપાઉન્ડના 412 અને લોકો કોલોનીના 303 મળી કુલ 715 કવાર્ટરનાં ગત તા.24મી માર્ચ પાણી સપ્લાય કનેકશન કટ્ટ કરી નાખતા ભર ઉનાળે રેલ્વે કર્મચારીઓને ના છુટકે ટેન્કરનું પાણી પીવાનો સમય આવ્યો છે જો કે પાણીના ટેન્કરનો દરરોજનો હજારો રૂપિયાનો ખર્ચ રેલ્વે તંત્ર ભોગવી રહ્યું છે. રેલ્વે તંત્ર ટેન્કર મારફત પાણી ખરીદી કરી રહ્યું છે.
રેલ્વે સુત્રોના જણાવ્યા મુજબ ગત તા.24મીએ કોર્પોરેશન તંત્રએ નળ જોડાણ કાપી નાખ્યા બાદ રેલ્વે તંત્રએ રૂા.20.76 લાખની રકમ ભરી દીધી હોવા છતા કોર્પોરેશને પુન: નળ જોડાણ આપ્યું નથી. પરિણામે 10 દિવસથી કવાર્ટરમાં વસતા રેલ્વે કર્મીઓ પરીવારજનો ભર ઉનાળે ટેન્કરના પાણીથી જીવન નિર્વાહ કરી રહ્યા છે.
રેલ્વે સુત્રોના જણાવ્યા પ્રમાણે કોઈપણ સંજોગોમાં જાહેર સેવા-નળ જોડાણ કાપવા નહીં તેવો સુપ્રિમ કોર્ટનો આદેશ હોવા છતા કોર્પોરેશન તંત્રએ રૂા.32.67 કરોડની ટેકસની ઉઘરાણી કરી જોડાણ ઉલાળી નાખ્યા છે. રેલ્વે સુત્રોના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશને સન 2021-22નું 14 કરોડ ટેકસ બીલ આપ્યું હતું જયારે સન 2022-23નું બીલ 32.67 કરોડ આપ્યું. એક જ વર્ષમાં 17.71 કરોડનો વધારો ગળે ઉતરે તેવો નથી આ બાબતે રેલ્વે તંત્ર આગામી દિવસોમાં કોર્પોરેશન સામે ન્યાયીક નિવેડો લાવવા કાનૂની કાર્યવાહી કરે તેવી શકયતા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
રેલ્વે તંત્રએ 26મી માર્ચે વોટર સર્વિસ ચાર્જના રૂા.20 લાખ વધુની રકમ ટ્રાન્સફર કરી દીધી હોવા છતાં નળ જોડાણ પુન:સ્થાપિત કરવામાં મનપા તંત્રની આડોડાઈ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy