નવી દિલ્હી, તા.2
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં ચલણમાંથી રદ કરવામાં આવેલી 2000 રૂપિયાની ચલણી નોટોને લઈને એક મોટું અપડેટ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી બજારમાં રહેલી 100 ટકા નોટો પરત આવી નથી. 1લી જુલાઈ 2024ના રોજ આ સંબંધમાં વિગતો શેર કરતી વખતે જુલાઈના પ્રથમ દિવસે આરબીઆઈએ જણાવ્યું હતું કે દેશમાં હજુ પણ લોકો પાસે 7000 કરોડથી વધુની કિંમતની 2000 રૂપિયાની નોટ છે.
બેન્ક દ્વારા સોમવારે 2000 રૂપિયાની નોટ પરત કરવા પર આપવામાં આવેલા આંકડા અનુસાર, આ ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાયા બાદ અત્યાર સુધીમાં માત્ર 97.87 ટકા નોટો જ બેંકિંગ પ્રક્રિયામાં પરત આવી છે જ્યારે 2.13 ટકા નોટ લોકો પાસે છે. આ બે ટકાથી વધુ નોટની કિંમત 7,581 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ગયા વર્ષે 19 મે, 2023ના રોજ જ્યારે ભારતીય રિઝર્વ બેન્કે ચલણમાંથી 2,000 રૂપિયાની ચલણી નોટ પરત ખેંચવાની જાહેરાત કરી હતી ત્યારે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2,000ની નોટ હતી જ્યારે 29 ડિસેમ્બર, 2023ના રોજ આ આંકડો ઘટીને માત્ર 9,330 કરોડ થયો હતો. આ પછી નોટો પાછી ખેંચવાની ગતિ થોડી ધીમી પડી અને હજુ 7,581 કરોડ રૂપિયાની નોટ પરત આવી નથી
તમે હજુ પણ બે હજાર રૂપિયાની ચલણી નોટ જમા કરાવી શકો છો. જોકે સ્થાનિક બેન્કોમાં આ કામ શક્ય નહીં બને. કેન્દ્રીય બેન્કે સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ જેવી 19 આરબીઆઇ ઓફિસમાં જમા કરવામાં આવશે. ઉપરાંત, લોકો આ નોટો તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા ઈન્ડિયા પોસ્ટ દ્વારા જમા કરાવી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy