રાજકોટમાં ઢોર ટેગીંગ-રજીસ્ટ્રેશન 100% પૂર્ણ : ફરિયાદોમાં ઘટાડો

Local | Rajkot | 28 March, 2024 | 04:24 PM
શહેરમાં પાલતુ પશુઓની સંખ્યા 9 હજાર જેટલી : એનિમલ હોસ્ટેલમાં નવી આવક ઓછી : ડોગ રજીસ્ટ્રેશન માટે હાલ કોઇ વિચારણા નહીં
સાંજ સમાચાર

રાજકોટ, તા.28
રાજકોટમાં પશુ નિયંત્રણ કાયદાના કડક અમલ બાદ છેલ્લા વર્ષમાં રખડતા ઢોરના રજીસ્ટ્રેશન અને ટેગીંગની કામગીરી 100 ટકા પૂરી થઇ ગયાનું એએનસીડી વિભાગે જાહેર કર્યુ છે. આ સાથે જ રાજમાર્ગો પર રખડતા ઢોરની ફરિયાદમાં પણ મોટો ઘટાડો કાગળ પર દેખાયો છે. 

બીજી તરફ અમદાવાદ જેવા શહેરોની જેમ નવા વર્ષથી પાલતુ શ્વાનોની નોંધણીનો કાયદો હજુ અમલમાં આવવાનો નથી અને સમયે આ અંગે નિર્ણય લેવાશે તેમ પણ જણાવાયું છે. 

મ્યુનિ. સુત્રોના જણાવ્યા મુજબ મહાનગરમાં ઢોરના રજીસ્ટ્રેશન અને ટેગીંગની કામગીરી 100 ટકા પૂર્ણ થઇ છે. માલીકીની જગ્યા વગર ઢોર પકડાય તો આકરા દંડ અને પોલીસ ફરિયાદ સુધીના નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. અનેક રજુઆતો અને માથાકૂટો વચ્ચે આ અમલ શરૂ કરાયો હતો. રોડ પરથી પકડાતું પશુ નહીં છોડવાથી માંડી જાહેરમાં ઘાસચારો પણ નહીં ફેંકવાના નિયમનો કડક અમલ શરૂ કરાયો હતો.

જેમાં ચૂંટાયેલા લોકોએ પણ સહકાર આપ્યો હતો. હાઇકોર્ટ રાજય સરકારને અવારનવાર ઠપકા આપતી હોય, રાજય સરકાર દ્વારા તમામ શહેરોમાં આ કાયદાનો કડક અમલ કરવા તાકીદ કરાઇ હતી. 

સુત્રોના જણાવ્યા મુજબ આજની તારીખે રાજકોટમાં પાલતુ પશુની સંખ્યા 9 હજાર જેટલી છે. તેમાં સામાન્ય વધઘટ થતી હોય છે. નોંધણી અને ટેગીંગની કામગીરી સંપૂર્ણ પૂરી થઇ ગઇ છે. વળી પશુના ત્રાસમાં ઘટાડો દેખાઇ રહ્યો છે. અગાઉ રોજ 60 થી 70 ફરિયાદ રહેતી હતી હવે દૈનિક સરેરાશ 10 થી 20 ફરિયાદ જ આવી રહી છે. અમુક શેરી-ગલીઓમાં માલિકીની જગ્યામાં પશુ રાખવામાં આવી રહ્યા છે. પરંતુ રોડ પર છોડવામાં આવે તો જપ્ત કરવાની ચેતવણી અપાય છે. 

મોટા મવામાં નવી એનિમલ હોસ્ટેલનું કામ ચાલી રહ્યું છે. કોઠારીયા, રોણકી અને મવડીની એનિમલ હોસ્ટેલ ફુલ થઇ ગઇ છે. ઢોર ડબ્બામાં હવે સંખ્યા બહુ વધતી નથી. કારણ કે માલિકીના ઢોર મોટા ભાગે જે તે પશુ પાલકની જગ્યામાં છે અને બાકીના ઢોર ડબ્બા મારફત પાંજરાપોળને મોકલી આપવામાં આવે છે. 

આગામી એપ્રિલથી અમદાવાદમાં પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થવાની છે. પરંતુ હાલ રાજકોટમાં કોઇ વિચારણા નથી. સાથે જ રખડુ કુતરાઓની વસ્તી ગણતરીની કામગીરી પણ આચારસંહિતામાં અટવાઇ ગઇ છે. ચૂંટણી બાદ વર્કઓર્ડર આપવામાં આવે તે બાદ શ્વાનોની વસ્તી ગણતરી શરૂ થશે તેમ અધિકારીઓ કહી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj