રાજકોટ. તા.29
રાજકોટના બજરંગવાડીમાં રહેતાં સોફાના ધંધાર્થી અશોકભાઈ જેઠવાની પત્ની અને પુત્રીને સંપર્કમાં આવેલ ઈન્દીરા સર્કલ પાસે રહેતી ક્રિષ્ના શાહ નામનો મહિલાએ મારા પિતા પાલીતાણા મંદિરમાં ટ્રસ્ટી છે કહી પાંચ તોલા દાગીનાના 25 તોલા કરી આપવાની લાલચ આપી રૂ.6 લાખની છેતરપીંડી આચરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જામનગર રોડ પર બજરંગવાડી - 6 માં પુનિતનગર શેરી નં.1 માં રહેતાં અશોકભાઈ દામજીભાઈ જેઠવા (ઉ.વ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ક્રિષ્ના સમીપ શાહ (રહે. દ્રષ્ટિ એપાર્ટમેન્ટ, શ્રધ્ધા હોસ્પિટલની બાજુમાં, ઇન્દિરા સર્કલ પાસે) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે આરોપી વિરૂદ્ધ છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી મહિલા આરોપીની ધરપકડ કરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓના પરિવારમાં પત્નિ મનિષા અને દીકરી નિધી છે. તેમજ તેઓ સોફા બનાવાવાની મજુરીકામ કરે છે. ગઈ તા.17/02/2024 ના ઇન્દિરા સર્કલ પાસે શ્રધ્ધા હોસ્પિટલની બાજુમાં દ્રષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતાં તેઓએ બનાવેલ બહેનના ઘરે માતાજીના મઢે પ્રસંગ હોવાથી તેમના પત્ની જમવા ગયેલ હતા. ફરિયાદીના પત્નિને ક્રિષ્નાબેન શાહ મળેલ અને ઓળખાણ થયેલ હતી.
તેમજ બીજા દિવસે ક્રિષ્નાબેન શાહ તેઓના ઘરે આવેલ અને ફરિયાદીના પત્નિ અને દીકરીને વાત કરેલ કે, તમે નાના મોટા સોનાના દાગીના આપો હું તમોને તે સોનાનુ મોટુ સોનુ કરી પચ્ચીસ તોલા સોનુ કરીને પરત આપીશ તેમ વાત કરેલ હતી. બાદમાં તા.21/02/2024 ના આરોપી ઘરે આવેલ અને તેઓની પત્નિ તેમજ દિકરીને વિશ્વાસમા લઈ પત્નિના દાગીના એક તોલાનો સોનાનો ચેઈન, સાડા ત્રણ તોલાની સોનાનો સેટ બુટી, સોનાનુ નાનુ પેંડલ તેમજ સોનાની વીંટી સહિત પાંચ તોલા સોનાના દાગીનાના બદલામા અઠવાડીયામા પચ્ચીસ તોલા સોનુ આપશે તેવી વાત કરીને લઈ ગયેલ હતા.
બીજા દિવસે ફરીથી આરોપી મહિલા ઘરે આવેલ અને પત્નિ અને પુત્રીને વાત કરેલ કે, મારા પિતા પાલીતાણા મંદિરમા ટ્રસ્ટી છે અને મારા પિતા સેવાનું કામ કરે છે જેથી તમો મને સકનના રૂ.3 લાખ આપો બાકીના રૂ. 7 લાખ સેવામાંથી આપી તમને રૂ. 10 લાખનું આવાસ યોજનાનુ 3 બીએચકે વાળું કવાટર રૂ. 3 લાખમાં અપાવી દેવાની લાલચ આપી વિશ્વાસમા લઈ ત્રણ લાખની ફિકસ ડીપોઝીટ તોડાવી આરોપીને રૂ.ત્રણ લાખ આપેલ હતા. થોડા દિવસ બાદ આરોપી ઘરે આવેલ અને બુટી સાથેના બે શેટ તેમજ બે પેંડલ શેટ તેમજ બે ચેઈન તેમજ એક બ્રેસલેટ અને એક જોડી બુટી, એક જોડી બંગડી આપી ગયેલ હતી. બીજા દિવસે દાગીના ચેક કરવા બજરંગવાડીમાં આવેલ જવેલર્સમા જતાં દાગીના ઈમિટેશનના ખોટા હોવાનુ જાણવા મળેલ હતું. બાદમાં મહિલા આરોપીને અવાર નવાર ફોન કરી તેમને આપેલા રોકડા રૂ. 3 લાખ તેમજ સોનાના દાગીના પાંચ તોલા રૂ. 3 લાખ મળી કુલ રૂ.6 લાખનો મુદ્દામાલ પરત માંગતા તેણીએ અલગ અલગ મુદતો આપી રોકડ રૂપિયા તેમજ ઘરેણા પરત ન કર્યા હતાં. તેમજ આરોપીએ તા.26/03/2024 સુધીમા પૈસા પરત પ્રોમીસરી નોટ લખી આપેલ હતી. પરંતુ આજ સુધી રોકડ રૂપિયા અને દાગીના મળી કુલ રૂ. 6 લાખની છેતરપીંડી કરી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી છેતરપીંડી આચરનાર મહિલાની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy