વેરાવળ,તા.28
ગીર સોમનાથ જિલ્લાને 110 કિલોમીટર જેટલા લાંબો દરિયાકિનારાની કુદરતી ભેટ મળી છે. જેના પર અનેક માછીમારો નભે છે. જિલ્લાના વેરાવળ, મૂળદ્વારકા, સુત્રાપાડા, ધામળેજ, જાલેશ્વર, હીરાકોટ, માઢવાડ, કોટડા, છારા, નવાબંદર તેમજ સીમર ખાતે માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બંદરો આવેલા છે. દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટીએ આ બંદરો પર દેખરેખ રાખવી ખૂબ આવશ્યક છે.
કલેક્ટર તંત્ર દ્વારા તા.23 માર્ચના રોજ મધરાતે 2.30 વાગ્યે 70 જેટલી બોટને સર્ચ કરીને 3 બોટોમાં રહેલો પેટ્રોલિયમ પેદાશનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશ બાબતે જિલ્લા પુરવઠા તંત્ર અને મત્સ્યોદ્યોગ અને ફિશરીઝ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ બાબતે કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાએ પ્રાંત અધિકારીની કચેરી ખાતે મીડિયાના મિત્રોને જિલ્લા તંત્ર દ્વારા બોટને સીઝ કર્યા બાદ કરવામા આવેલી કાર્યવાહીથી વાકેફ કર્યા હતાં. બોટના બે માછીમારને પણ હાજર રાખવામાં આવ્યાં હતાં. કલેક્ટરે આ અંગે જણાવ્યું કે, મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા દરિયામા જતી વખતે ઓનલાઈન ટોકન લેવાની સિસ્ટમ અમલી છે. અને પરત ફરે પણ તેની નોંધણી કરવાની હોય છે.
પકડાયેલ એક બોટ દ્વારા તા.20 માર્ચની પરતની નોંધણી કરાવેલ છે. જ્યારે હકિકતમાં તા.23 મીના રોજ આ બોટ દરિયામાંથી ઝડપાઈ હતી. આ રીતે નિયમોને ઉવેખીને નાની એવી લાલચના લોભે માછીમારો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે પરંતુ તેમની આવી નાની ગફલતભરી ભૂલ રાજ્યના નાગરિકો માટે કોઈ દિવસ મોટી આફત બની શકે છે. તેને ધ્યાને રાખીને કલેક્ટર તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવે છે. જેથી અણધારી આવતી અનઆવશ્યક આફતોને ટાળી શકાય. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, દરિયામાં માછીમારી કરવા જતાં બોટો ઓનલાઈન ટોકન અવશ્ય મેળવી લે. જેથી બોટોની નિશ્ચિત ઓળખ થઈ શકે. આગામી દિવસોમાં લેન્ડિંગ પોઈન્ટ માટે થાંભલા લગાવીને તેની જગ્યા નિર્ધારિત કરવામાં આવશે.
જેથી બોટોની ચોક્કસ ઓળખ થઈ શકે. પકડાયેલી બોટો અંગે તેમણે જણાવ્યું કે, અત્યારે બે બોટના માછીમારોને પકડવામાં આવ્યાં છે. અને ત્રીજા બોટમાલિકની પણ ભાળ મળી ચૂકી છે અને આગામી સમયમાં તેને પણ પકડીને આ કિસ્સાના મૂળ સુધી પહોંચીને શંકાસ્પદ ડિઝલનો જથ્થો કોણ? કેવી રીતે લાવ્યું? અને કેવી રીતે વેચતા હતાં? તેની જાણકારી મેળવવામાં આવશે. જે પણ કામગીરી કરવામાં આવશે. તે પાક્કા પાયે અને સુનિશ્ર્ચિત રીતે કરવામાં આવશે. તેવું કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બોટ માલિકો કોડિનારના ડિલર જૂનેદ અલીમામદ મેમણ પાસેથી ડિઝલ ખરીદતા હતાં અને ડિલર જૂનેદ આ જથ્થો છારા બંદરેથી લાવતો હતો તેવી વિગતો મળી છે. મત્સ્યોદ્યોગ વિભાગના મદદનીશ કમિશનર વી.કે.ગોહિલે દરિયામાં જતી બોટ માટેની ઓનલાઈન ટોકન સિસ્ટમ, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ તથા તે માટે લાગુ પડતા મત્સ્યોદ્યોગના કાયદાઓની છણાવટ કરી હતી. નિવાસી અધિક કલેક્ટર આર.જી.આલ, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોશી, કોડિનાર મામલતદાર એન.જી.રાદડિયા તથા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં.
અંતમાં હાલ કોડીનાર મુળ દ્વારકા બંદરેથી દરિયાઈ પટ્ટી વિસ્તાર ગેરકાયદે ડીઝલનો જથ્થો રાખનાર બે બોટ માલીક સહિત ડીઝલ વેચનાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું કલેકટરે જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy