રાજકોટ, તા.23
રાજકોટ નજીકના રમણીય સ્થળ ઇશ્વરીયા પાર્કના વિકાસ માટે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા ખાસ પ્લાનીંગ તૈયાર કરી દેવામાં આવેલ છે. ઇશ્વરીયા પાર્કમાં કેકટર્સ પાર્ક બનાવવામાં આવનાર છે.
જે કેવડીયામાં કેક્ટર્સ પાર્ક છે તેનું મીની વર્ઝન બનાવાશે આ અંગેની ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ પાર્કમાં આવતા સહેલાણીઓ માટે ખાણીપીણીની સુવિધા પાર્કમાં જ ઉપલબ્ધ બની શકે તે માટે પાર્કમાં ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવા પ્રયાસો કરાશે.
ઇશ્વરીયા પાર્ક પાસે આવેલા સાયન્સ મ્યુઝીયમમાં બાળકો મુલાકાત માટે આવે ત્યારે આ ઇશ્વરીયા પાર્કમાં ફરે અને રાત્રે તળાવ કાઠે નાઇટ કેમ્પીંગ કરે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ફોરેસ્ટ વિભાગ સાથે જરૂરી ચર્ચા કરવામાં આવશે. ઇશ્વરીયા પાર્કમાં આવેલા તળાવમાં હાલ બોટીંગની સુવિધા બંધ છે.
આ બોટીંગની સુવિધા શરૂ થાય તે માટે તળાવમાંથી ગાંડીવેલ દુર કરવામાં આવશે. આ તળાવમાં ગાંડીવેલ દુર કરવા માટે તેનું પાણી ખાલી કરવામાં આવશે. આ માટે પ્રાંત-1 અધિકારી ચાંદની પરમાર મ્યુનિ. કોર્પો. સાથે ચર્ચા કરનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ દરમિયાન કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે ઇશ્વરીયા પાર્કમાં તળાવ આડે દિવાલ છે. તેની ઉંચાઇ વધારે હોય આ દિવાલની ઉંચાઇ ઘટાડી તેના પર સહેલાણીઓને બેસવા માટે પારી બનાવાશે. આ માટે માર્ગ અને મકાન વિભાગને સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ પાર્કના વિકાસ માટે આર્કીટેક્ચરની પેનલ બનાવાશે.
ઇશ્વરીયા પાર્કને વિકાસની નવી દિશા આપવા માટે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી દ્વારા ગઇકાલે કલેક્ટર કચેરી ખાતે ખાસ બેઠક યોજવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy