જામનગર તા.23
જામનગર સહિત રાજ્યભરમાં પ્રિપેઇડ સ્માર્ટ વીજમીટરનો લોકોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે જામનગરમાં આજે આમઆદમી પાર્ટી દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રીને સંબોધીને રજૂઆત કરતું એક આવેદનપત્ર તંત્રને આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, ગુજરાતમાં વીજકંપનીઓ દ્વારા પ્રિપેઇડ સ્માર્ટ વીજમીટરો પરાણે લગાડવાની કામગીરી શરૂ કરાતા ઠેર-ઠેર લોક વિરોધ ઉભો થયો છે. જામનગર, વડોદરા, સુરત અને સુરેન્દ્રનગર સહિતના સ્થળોએ વિરોધ ચાલી રહ્યો છે. ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતાં કર્મચારીઓ અને મધ્યમવર્ગ તથા સામાન્ય વર્ગના પરિવારો માટે સ્માર્ટ મીટરો માથાનો દુ:ખાવો સાબિત થશે અને વધુ નાણા ભીડમાં લોકોને મુકશે.
ગુજરાત સરકારે પાવર પ્લાન્ટ સાથે અગાઉ કરેલ 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતની જનતા ઉપર ફ્યુઅલ એડજેસમેન્ટ ચાર્જ કે જે ઉદ્યોગપતિએ ભરવાનો હોય તેનો બોજ જનતા ઉપર નાખી દીધો છે. વિજળીનો સરકારી ભાવ રૂા.3.95 પ્રતિ યુનિટ છે ત્યાં ફ્યુઅલ એડજેસમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરી લોકોને રૂા.8.58 રૂપિયામાં વિજળી અપાઇ છે.
આટલું ઓછું હોય તેમ સ્માર્ટ મીટર અને પ્રિપેઇડ કાર્ડ નાંખી લોકોને લુંટવાનો કારસો છે. જે પરિવારો ટુંકી આવકમાં ગુજરાન ચલાવે છે તેમાંથી ઘણાં તો ઉછી ઉધારા કરીને પેનલ્ટી સાથે વીજ બિલ ભરપાઇ કરે છે. આવા લોકો પ્રિપેઇડ કેવી રીતે રિચાર્જ કરશે
જો ગુજરાત સરકાર સ્માર્ટ મીટર પડતાં મુકવાની તાત્કાલિત જાહેર નહીં કરે તો આમઆદમી પાર્ટી આગામી દિવસોમાં રસ્તા ઉપર ઉતરી સરકાર અને પાવર કંપનીઓની મિલીભગતથી ચાલી રહેલી ઉઘાડી લૂંટ બાબતે લોકજાગૃતિના કાર્યક્રમ આપશે. જે નાગરિકોના વીજજોડાણ વીજકંપની બંધ કરશે તેના જોડાણ અમારા કાર્યકરો જઇને ચાલુ કરી દેશે.
આથી આ પ્રશ્નને ગંભીરતાથી લઇ અન્ય રાજ્યોની જેમ ગુજરાતની ઓછી આવક ધરાવતી પ્રજાને કે જેની સંખ્યા 34 લાખ પરિવારની છે તેને માસિક 300 યુનિટ વિજળી ફ્રી આપવાની માંગણી છે. ઉપરોક્ત આવેદનપત્ર જામનગર જિલ્લા આમઆદમી પાર્ટીના પ્રમુખ વશરામભાઇ રાઠોડની આગેવાની હેઠળ આપના કાર્યકરોએ જિલ્લા સેવા સદને જઇને આપ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy