રાજકોટ. તા.28
પુજારા પ્લોટમાં ગઈકાલે 20 વર્ષીય એકના એક પુત્રએ આપઘાત કરી લેતાં વ્યથિત થયેલ તેની માતાએ પુત્રના વિયોગમાં આજે વહેલી સવારે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેમને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ, પુજારા પ્લોટમાં આવેલા પ્રેસિયસ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં-201 માં રહેતા દિવ્યાબેન મનીષભાઈ જોષી (ઉ.વ.45) નામના વિપ્ર મહિલાએ આજે વ્હેલી સવારે સાત વાગ્યે પરિવારજનો સુતા હતાં ત્યારે પોતાના રૂમમાં પંખાના હૂંકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમના નાના બહેન જોઈ જતા તેને તાત્કાલિક નીચે ઉતારી બચાવી લઈ 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા પીએસઆઇ પી.જી.રોહડિયા સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને મહિલાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, ગઈકાલે ધો.12માં અભ્યાસ કરતા 20 વર્ષીય પુત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના વિયોગમાં તેના માતાએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઘરમાં ગઈકાલે જ જુવાન જોધ અને એક ના એક પુત્ર સૂરજના દુ:ખદ અવસાનથી પરિવાર ઘેરા શોકમાં હતો. તેમજ પરિવારજનો પણ ઘરે હોય ત્યારે સવારે જાગીને દિવ્યાબેન રૂમમાં જતા રહ્યા હતા અને દરવાજાની આડસ કરી પુત્રના વિયોગમાં પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારની ચિંતામાં વધારો થયો હતો અને હાલ દિવ્યબેનની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy