(જીજ્ઞેશ ભટ્ટ દ્રારા) મોરબી તા.1
મોરબીના સામાકાંઠે આવેલ માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા આધેડે તેઓના ઘરે અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત નિપજયુ હતું અને બનાવને પગલે મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.બનાવની પોલીસને જાણ થતા પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે આર્થિક કારણોસર આધેડે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને તેના લીધે તેમનું મોત થયેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે સોઓરડીની પાછળ આવેલ માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા મોહનભાઈ રવજીભાઈ સોલંકી નામના 49 વર્ષના આધેડએ તેમના ઘરે ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.જેથી તેમના ડેડબોડીને તેમનો દીકરો નિલેશભાઇ સોલંકી પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યો હતો.હોસ્પિટલ ખાતે પીએમની વિધિ શરૂ કરવામાં આવી હતી.
પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવની પોલીસને જાણ થતા સ્ટાફના હિતેશભાઈ મકવાણ તપાસ માટે પહોંચ્યા હતા.તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક મોહનભાઈ સોલંકી છૂટક મજૂરી કામ કરતા હતા જોકે મજૂરી કામ બરોબર મળતું ન હોય આર્થિક સંકળામણ રહેતી હતી. જેથી કરીને તેઓએ આર્થિક કારણોસર ઉપરોક્ત પગલું ભરી લેતા તેમનું મોત નિપજેલ છે.
ઇલેક્ટ્રીક શોટથી ભેંસનુ મોત
મોરબીના વીસીપરામાં વીજ થાંભલા પાસે ઇલેક્ટ્રીક શોટ લાગવાથી ભેંસનું મોત નીપજ્યું હતું.આ બાબતે મોરબીના વીસીપરા બિલાલી મસ્જિદ મદીના સોસાયટી પાસે આવેલ કુલીનગર વિસ્તારમાં રહેતા ઝુબેદાબેન ગુલામહુસેનભાઇ (45) એ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, વીસીપરા અમરેલી રોડ ઉપર આવેલ સીટીઝન કારખાના પાસે થાંભલા નજીક ગત તા.28-6 ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેઓની ભેંસ ઉભી હતી.
ત્યારે થાંભલાને અડી જતા શોટ લાગવાથી ભેંસનું મોત થયુ હતું.હાલ આ બાબતે પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy