(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 1
ચોટીલાની વૃંદાવન સોસાયટીમાં રહેતી પરિણીતાએ તા. 26મી જુને એસીડ ગટગટાવ્યુ હતુ. જેમાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેઓનું તા. 29મીએ મોત થયુ હતુ. આ બનાવમાં મૃતકે પડોશીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની મૃતકના પિતાએ 1 મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.
ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતા નાનજીભાઈ વીરાભાઈ પરમારની દિકરી અનીતાના લગ્ન 11 વર્ષ પહેલા વીંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામે રહેતા જયંતીભાઈ કાળુભાઈ ચાવડા સાથે થયા હતા.
છેલ્લા ચારેક વર્ષથી જયંતીભાઈ પરીવાર સાથે ચોટીલાની વૃંદાવન સોસાયટીમાં રહે છે. અનીતાબેનની પડોશીઓ અવારનવાર અનીતાબેન સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા હતા. આથી પડોશી ડાયા ભાણાભાઈ વાઘેલા, તેમના પત્ની કોમલબેન ડાયાભાઈ વાઘેલા અને કેતન વિનુભાઈ વાઘેલાના ત્રાસથી અનીતાબેને ગત તા. 26મી જુનના રોજ એસીડ પી લીધુ હતુ.
જેમાં તેઓને કુવાડવા બાદ રાજકોટ સારવાર માટે લઈ જવાયા હતા. સારવાર કારગત ન નીવડતા ગત તા. 29મી જુનના રોજ અનીતાબેનનું મોત થયુ હતુ. મૃતકના મોતથી તેમના ત્રણ સંતાનો માતા વિહોણા બન્યા છે.
ત્યારે નાનજીભાઈએ પડોશી ડાયા ભાણાભાઈ વાઘેલા, તેમના પત્ની કોમલબેન ડાયાભાઈ વાઘેલા અને કેતન વિનુભાઈ વાઘેલાના ત્રાસથી અનીતાબેને એસીડ પી મોતને વહાલું કર્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ. જી. ગોહીલ ચલાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy